GCCIના મેગા રક્તદાન અભિયાનમાં 1700 બ્લડ યુનિટ એકત્રિત, થેલેસેમિયા દર્દીઓ માટે બન્યું આશીર્વાદ
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહાજન સંકલન ટાસ્કફોર્સના માધ્યમથી 1 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી મેગા રક્તદાન અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વેપારી મહાજનો, ઉદ્યોગો, ક્લબો, એસોસિયેશનો અને કોર્પોરેટ સંસ્થાઓના સહયોગથી યોજાયેલા આ અભિયાનમાં અંદાજે 1700 બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા.અમદાવાદ શહેર તથા આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં વિવિધ સ્થળોએ યોજાયેલા રક્તદાન કેમ્પોમાં મોટી સંખ્યામાં યુવાનો, ઉદ્યોગકારો, કર્મચારીઓ અને સામાજિક કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને થેલેસેમિયા પીડિત દર્દીઓ તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થાય અને શહેરમાં સર્જાતી રક્તની અછતને દૂર કરી શકાય તે હેતુથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
થેલેસેમિયા દર્દીઓ માટે જીવનદાયી પહેલ, GCCIના અભિયાનમાં 1700 યુનિટ રક્તદાન
આ અભિયાનને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને વિશાખા ગ્રુપનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો. વિશાખા ગ્રુપે ગિફ્ટિંગ પાર્ટનર તરીકે સહભાગી બની રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. રક્તદાન અભિયાન દરમિયાન વિવિધ સ્થળોએ આધુનિક સુવિધાઓ સાથે રક્ત સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવી હતી.GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે 1 જૂનના રોજ અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિયેશન, ગીતામંદિર ખાતે અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રક્તદાન માનવસેવાનું સર્વોત્તમ કાર્ય છે અને એક યુનિટ રક્ત અનેક લોકોને નવું જીવન આપી શકે છે. તેમણે આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સંસ્થાઓ, દાતાશ્રીઓ અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધી, વાઇસ પ્રેસિડેન્ટ અપુર્વ શાહ અને માનદ ખજાનચી ગૌરાંગ ભગત વિવિધ સ્થળોએ યોજાયેલા કેમ્પોમાં હાજર રહ્યા હતા. તેમણે રક્તદાતાઓના ઉત્સાહ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી પહેલો માત્ર રક્તની જરૂરિયાતને જ પૂર્ણ કરતી નથી, પરંતુ સમાજમાં સેવા અને સહકારની ભાવનાને પણ મજબૂત બનાવે છે.ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓએ પણ GCCIના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વૈચ્છિક રક્તદાનથી જ હોસ્પિટલો અને બ્લડ બેન્કોમાં પૂરતો જથ્થો જાળવી શકાય છે. ખાસ કરીને થેલેસેમિયા અને ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ માટે નિયમિત રક્તની ઉપલબ્ધતા અત્યંત જરૂરી છે.આ મેગા અભિયાનમાં અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિયેશન, પાંચકૂવા કાપડ મહાજન, નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિયેશન, ISHRAE અમદાવાદ ચેપ્ટર, RATA અમદાવાદ, સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ઓપ્ટિકલ એસોસિયેશન, અમદાવાદ વેપારી મહાજન, એસ્ટ્રલ લિમિટેડ, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અમદાવાદ ફર્નિચર એસોસિયેશન, માણેકચોક સોના-ચાંદી દાગીના એસોસિયેશન, કર્ણાવતી ક્લબ, યોગ સાધના આશ્રમ અને ચાંદખેડા વેપારી સંગઠન સહિત અનેક સંસ્થાઓએ સક્રિય સહયોગ આપ્યો હતો.GCCI દ્વારા આયોજિત આ મેગા રક્તદાન અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળતા સહભાગી સંસ્થાઓએ ભવિષ્યમાં પણ આવા સામાજિક અને માનવતાવાદી કાર્યક્રમોમાં જોડાવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 1700 બ્લડ યુનિટના સંગ્રહ સાથે આ અભિયાન શહેર અને રાજ્ય માટે જીવનદાયી સાબિત થયું હોવાનું GCCIએ જણાવ્યું છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો