કાલુપુરથી દાણાપીઠ સુધી કમિશનરનું નિરીક્ષણ, વિકાસકાર્યોની પ્રગતિની કરી સમીક્ષા
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આજે સેન્ટ્રલ ઝોનમાં ચાલી રહેલા વિવિધ મહત્ત્વના વિકાસકાર્યોની સ્થળ મુલાકાત લઈને કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ પ્રોજેક્ટની પ્રગતિ, પડકારો અને આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી. સાથે જ વિકાસકાર્યો સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.કમિશનરશ્રીએ સૌપ્રથમ કાલુપુર સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. અહીં રેલવે વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે પ્રોજેક્ટની હાલની સ્થિતિ અને આગામી તબક્કાના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુસાફરોને વધુ સુવિધાસભર, આધુનિક અને સુવ્યવસ્થિત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે કામગીરીમાં ઝડપ લાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
હેરિટેજથી પાર્કિંગ સુધી વિકાસકાર્યો પર કમિશનરની નજર, ઝડપી કામગીરીના આદેશ
ત્યારબાદ તેમણે વસંત ચોક ખાતે ચાલી રહેલી હેરિટેજ રિડેવલપમેન્ટ અને રેટ્રોફિટિંગ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. ઐતિહાસિક વારસાને જાળવી રાખીને આધુનિક સુવિધાઓ સાથે વિસ્તારનો વિકાસ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હેરિટેજની મૂળ ઓળખ જળવાઈ રહે તે સાથે પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે તે દિશામાં આયોજન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોનમાં AMC કમિશનરનું મેગા ઇન્સ્પેક્શન, પ્રોજેક્ટોને મળશે નવી દિશા
મુલાકાત દરમિયાન કમિશનર એ દાણાપીઠ મલ્ટીલેવલ કાર પાર્કિંગની પણ સમીક્ષા કરી હતી. પાર્કિંગ સુવિધાને વધુ કાર્યક્ષમ અને નાગરિકમૈત્રી બનાવવા ઉપરાંત તેને અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સાથે પેડેસ્ટ્રિયન વોકવે દ્વારા જોડવાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે પાર્કિંગ સુવિધાઓનો અસરકારક ઉપયોગ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે અમદાવાદના સર્વાંગી વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેરિટેજ સંવર્ધન બંનેને સમાન પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શહેરના વિકાસને વધુ ગતિ મળે અને નાગરિકોને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી આગળ વધારવામાં આવશે.આ સ્થળ મુલાકાત દરમિયાન આપવામાં આવેલા માર્ગદર્શનના આધારે સંબંધિત વિભાગો હવે વિકાસકાર્યોને વધુ અસરકારક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કાર્યવાહી હાથ ધરશે. AMC દ્વારા શહેરને વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી બનાવવા માટે વિવિધ વિકાસ પ્રોજેક્ટ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો